બોટાદ

બોટાદ જિલ્લામાં તૂટેલા રોડ-રસ્તા અને ધોવાણ થયેલી જમીનથી હાલાકી; ધારાસભ્ય મકવાણાએ CMને રજૂઆત કરી

બોટાદ: રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે બોટાદ જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદના પરિણામે જિલ્લાના અનેક રોડ-રસ્તાઓ જર્જરિત થઈ ગયા છે અથવા સંપૂર્ણપણે તૂટી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને એક ગામથી બીજા ગામ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, બોટાદ અને ગઢડા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોની જમીનનું ધોવાણ થવા સાથે પાકને પણ મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્ય પ્રધાનને પત્ર લખી તાત્કાલિક પગલાં ભરવાની અને અસરગ્રસ્તોને વળતર આપવાની માંગ કરી છે.

તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અતિવૃષ્ટિને કારણે બોટાદ જિલ્લામાં અનેક મુખ્ય માર્ગોને ભારે નુકસાન થયું છે. જેમાં સુરકા – ઉગામેડી રોડ (કોઝવે), ગઢડા – રોહીશાળા – મુળધરાઈ રોડ (કોઝવે), હડદડ – નાગલપર રોડ, રાજપરા એપ્રોચ રોડ, ઝમરાળા – રતનવાવ – પાણવી રોડ અને બોડી – પીપરડી – લીંબોડા રોડનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ તૂટી જવાથી સ્થાનિક પરિવહન થંભી ગયું છે, અને લોકોને રોજિંદા કાર્યો માટે લાંબા અને વિકટ માર્ગો અપનાવવા પડી રહ્યા છે.

ખેતીને વ્યાપક નુકસાન, તાત્કાલિક સર્વે અને વળતરની માંગ

આ ઉપરાંત તેમણે ખેતીને વ્યાપક નુકસાનની પણ વાત કરી હતી. તેમણે કહ્યું બોટાદ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ગઢડા તાલુકાના ટાટમ, ભીમડાદ, જનડા, પીપળીયા, ગોરડકા અને બોટાદ તાલુકાના લાઠીદડ, પાળીયાદ વગેરે સહિત અનેક ગામોના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની ઉપજાઉ જમીનનું વ્યાપક ધોવાણ થયું છે, અને ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

તેમણે સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરાવીને પાક નુકસાન અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક નેતાઓ અને ખેડૂત સંગઠનો પણ આ મામલે સરકાર પર દબાણ લાવી રહ્યા છે જેથી વહેલી તકે અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય મળી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button