વડા પ્રધાન મોદી આવતીકાલે ગુજરાતને ₹ 26,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડા પ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડા પ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹ 7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડા પ્રધાન ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹ 26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹ 1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : શનિવારે PM Modi લોથલની મુલાકાત લેશે: ₹ 4,500 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડા પ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.
ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹ 26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹ 23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…
ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹ 4,700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹ 5,894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમ જ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹ 1,500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹ 1,660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.
કચ્છના ધોરડો ગામનું થયું 100 ટકા સોલરાઇઝેશન
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100 ટકા સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100 ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડા પ્રધાન ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાન ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹ 2,524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે