મહુવામાં પત્નીના ભાગી જવાના વહેમમાં જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા ઝીંક્યા, બંનેના મોત…

મહુવા: ભાવનગર જિલ્લાના મહુવામાં જમાઈએ જ પોતાના સાસુ-સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ખુલાસો થયો છે. ડબલ મર્ડરની આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હત્યાની ઘટનાની ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી હતી.
પત્નીના ભાગી જવા પાછળ તેમના સાસુ-સસરાનો હાથ
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવાના ખાર ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભીલની દીકરીના લગ્ન અજય રાજુ ભીલ સાથે થયા હતા. પરંતુ આ દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઇ બાબતને લઈને અણબનાવ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પૂર્વે જ અજય ભીલની પત્ની કોઈ અન્ય કોઈ શખ્સની સાથે ભાગી થઈ ગઈ હતી. આરોપી અજયને મન એવી શંકા હતી કે પત્નીના ભાગી જવા પાછળ તેમના સાસુ-સસરાનો હાથ છે.
સાસુ-સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
આ બાબતનો ખાર રાખીને આરોપી અજય તેના સાસુ-સસરાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેણે તેના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારીમાં કરી હતી. આ મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવીને તેણે પોતાનાં સાસુ-સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. અજયના હુમલાથી સાસુ-સસરા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો
હત્યાના બનાવની જાણ થતાની સાથે જ મહુવા ટાઉન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્જો મેળવીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અજય ભીલ નામના શખ્સ વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. તેની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.