ગુજરાતના ચકચારી બગદાણા કોળી યુવાન હુમલા કેસમાં આઠ આરોપીના જામીન મંજૂર, જયરાજ આહીર જેલમાં…

ભાવનગર : ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મહુવા સેશન્સ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન આઠ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, ત્યારે હવે છ આરોપીઓ જેલમાં છે.
અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ
ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા હુમલા કેસમાં સીટ એ અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરી છે. જેમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી નામના આરોપીઓ છે. જેમાંથી 8 આરોપીઓને કોર્ટે જામીન મુક્ત કર્યા છે જ્યારે જયરાજ આહીર સહિત અન્ય 6 આરોપીઓ જેલમાં છે.
આ કેસમાં કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. તેમાં આતુ ભમ્મર,વેરુ શઈડા ,રાજુ દેવાયત ભમ્મર, ભાવેશ ભગવાન ચેલાણા, વિરેન્દ્ર જેરામ પરમાર,પંકજ માવજી મેર, સતીષ વનાળિયા અને ઉત્તમ બાંભણિયાનો સમાવેશ થાય છે.
સમગ્ર વિવાદ એક ડાયરાથી શરુ થયો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ એક ડાયરાથી શરુ થયો હતો. જેમાં ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા. બગદાણાના નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ માફી માંગી વીડિયો આપ્યો હતો.
જયારે તેની બાદ બાલધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ આવ્યું નહોતું. તેના જ ઈશારે ષડયંત્ર રચાયું હતું. જેમાં 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો.



