ભાવનગરમાં ભારે વરસાદને કારણે 7 કાળિયાર મોતને ભેટ્યા…

ભાવનગર: છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે માનવીઓ સાથે અબોલ પશુઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ભાલ પંથકમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા 7 કાળિયારના મોત થયા હતા.
7 કાળિયારના મોત
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતી ઘેલો, વેગડ (કેરી), કાળુભાર, માલેશ્રી, અલંગ અને પરવાળી નદીઓમાં પાણીનો પ્રવાહ ભયજનક સપાટીએ પહોંચ્યો હતો. આ પ્રવાહમાં અનેક કાળિયાર તણાઈ ગયા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કેટલાક કાળિયારને બચાવ્યા હતા, પરંતુ પ્રવાહની તીવ્રતાના કારણે 7 કાળિયારના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે રેવન્યુ વિસ્તારમાં, અંદાજે 2 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે. આ વિસ્તારોમાં મીઠાના અગરો પણ આવેલા છે. રેવન્યુ વિસ્તારના ગણેશગઢ, સવાઈપથ, સવાઈનગર, દેવળિયા, માઢિયા, સનેસ, કાનાતળાવ, ખેતાખાટલી સહિતના વિસ્તારોમાં તપાસ દરમિયાન 6 કાળિયારના શબ મળી આવ્યા હતા, જેઓના મોત પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય એક કાળિયાર પાણીમાં ઈજાગ્રસ્ત થયા બાદ શિકારી કૂતરાઓનો ભોગ બન્યું હતું.