એલર્ટઃ ચાંદીપુરા વાયરસ માટે ICMRની ટીમ ગુજરાતમાં, જાણો લક્ષણો અને સાવચેતી

ભાવનગરઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના રિસર્ચ માટે ચાર જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી. આ જિલ્લાઓમાં ભાવનગર, રાજકોટ, પંચમહાલ અને વલસાડનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પાંચ વૈજ્ઞાનિકો અને એક લાયઝન ઓફિસરની ટીમ બે દિવસ માટે ભાવનગરની મુલાકાતે આવી હતી. આ ટીમ ચાંદીપુરા વાયરસના સંશોધન માટે મેડિકલ કોલેજ અને સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સૂત્રોએ જણાવ્યું કે ગત વર્ષે મગજના તાવના કારણે બાળકોના મૃત્યુ થયા હતા. તેના આધારે રિસર્ચ તૈયાર કરી કમિટી બનાવવામાં આવી હતી. હાલ ભાવનગર જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે બાળકોને ભારે તાવ આવે ત્યારે જાતે દવા લેવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. મુલાકાત દરમિયાન ભાવનગર મેડિકલના ડિન ડો. ચિન્મય શાહ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ જીજ્ઞાબેન ત્રિવેદી અને પીએમએસએસવાયના નોડલ ઓફિસર સમીર શાહ પણ હાજર રહ્યા હતા.
આપણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં રિપેરિંગ રૂટિન હતું, મંત્રીની મુલાકાત માટે નહીં
શું છે ચાંદીપુરા વાયરસ
ચાંદીપુરા વાયરસમુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે. આ વાયરસ બાળકોને વધુ અસર કરે છે અને મગજમાં સોજો લાવી શકે છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
- અચાનક અને ખૂબ તીવ્ર તાવ આવવો
- સખત માથાનો દુખાવો થવો
- શરીરમાં અતિશય નબળાઈ અને થાક અનુભવવો
- સ્નાયુઓમાં દુખાવો થવો
- પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડા થવા
- ખેંચ આવવી
- ભાન ભૂલી જવું, સુસ્તી, મૂંઝવણ અથવા કોમામાં જવું