લંડન જતો ભાવનગરનો ભાવિ ડોક્ટર પ્લેન ક્રેશમાં ભોગ બન્યો, સોસિયા ગામ શોકમગ્ન…

અમદાવાદ: 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 થોડી જ ક્ષણમાં તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 પ્રવાસીઓનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ તબીબ રાકેશ દિયોરા (ઉ. વ.25)નું નામના યુવકનું પણ મોત થયું હતું. યુવકના મૃતદેહને વતન લવાતા પરિવાર સહિત ગામ હિબકે ચડ્યું હતું . યુવકનાં અંતિમ સંસ્કારમાં તળાજા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ક્રેશ દુર્ઘટનામાં સવાર 241 મુસાફરો સહિત પાયલોટ અને ક્રૂ મેમ્બર્સનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા પ્રવાસીઓમાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ ડૉકટર રાકેશભાઈ દિયોરાનું પણ આ વિમાન દુર્ઘટનામાં મોત નિપજયું હતું.

યુવાન રાકેશ દિયોરા લંડનમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને વતન સોસિયા ગામથી પરત લંડન જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. ગામના આશાસ્પદ યુવાનના મોતને પગલે વતન સોસિયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. યુવકના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
યુવકની અંતિમક્રિયામાં લોકસભા સાંસદ નિમુબેન બાંભણીયા, ભાવનગર જિલ્લા અધ્યક્ષ દીગ્વિજયસિંહ ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકતાઓ જોડાયાં હતાં…