આજે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ: બાપાના ચરણોમાં શીશ નમાવવા બગદાણામાં ઉમટશે માનવ મહેરામણ

મહુવા (ભાવનગર): તાજેતરમાં મહુવા તાલુકાના બગદાણા ગામની ચર્ચા ચોમેર છે. ગુરુ આશ્રમના સેવક અને ગામના સરપંચ પર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાના 49મા પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિ મહોત્સવમાં સૌરાષ્ટ્ર કે ગુજરાત નહિ પણ દેશ વિદેશના એક લાખથી વધુ ભાવિકો બાપાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે ગુરુઆશ્રમ ખાતે ઘણા સમય પહેલા જ પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
બજરંગદાસ બાપાનો જન્મ અંદાજે 1906માં ભાવનગર નજીકના અઘેવાડા ગામ નજીક ઝાંઝરિયાં હનુમાનની જગ્યામાં થયો હતો. તેમના માતાનું નામ શિવકુવરબા અને પિતાજીનું નામ હીરાદાસજી હતું. જ્યારે બગદાણા એ બાપાની કર્મભૂમિ રહી છે, ઈ.સ. 1941-1942 આસપાસ બગદાણા ગામમાં પરમ બજરંગદાસ બાપાનું આગમન થયું હતું. વર્ષ 1977માં પોષ વદ ચોથના દિવસે બજરંગદાસ બાપા બ્રહ્મલીન થયા હતા.

પૂજ્ય બજરંગદાસ બાપાના 49મા પુણ્યતિથિ મહોત્સવના આયોજનના ભાગરૂપે 28 ડિસેમ્બરના રોજ આશરે 350 ગામોના 700 જેટલા પ્રતિનિધિઓની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહોત્સવના આગોતરા આયોજન અને વિવિધ વિભાગોમાં સેવાકાર્યની વહેંચણી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં તમામ સ્વયંસેવકોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પુણ્યતિથિ મહોત્સવને રંગેચંગે ઉજવવા માટે ગુરુઆશ્રમના સમગ્ર પરિસરને આકર્ષક ફૂલો અને હારતોરાથી શણગારવામાં આવશે, તેમજ રાત્રિના સમયે આશ્રમ રોશનીના જગમગાટથી ઝળહળી ઉઠશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1977માં પોષ વદ ચોથના દિવસે બજરંગદાસ બાપા બ્રહ્મલીન થયા હતા, ત્યારથી દર વર્ષે આશ્રમ દ્વારા ધામધૂમપૂર્વક પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.



