
ભાવનગરઃ ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના નારી ગામ પાસે પૂરમાં ફસાયેલી 400 ગાયોને બચાવવામાં આવી હતી. અહીંના ધારાસભ્ય મારફત વિશેષ હેલ્પલાઇન વાન ચલાવી હતી. બચાવકાર્યમાં કુલ 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં 25થી વધુ બીમાર, અશક્ત, વિકલાંગ અને અંધ ગાયો પણ હતી.
મળતી વિગત પ્રમાણે, ભાવનગરના નારી ગામ નજીક વરસાદી પાણીમાં ફસાયેલી સુરભી ગૌશાળાની ગાયોને બચાવવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4:30 વાગ્યે પ્રેરણા ફાઉન્ડેશનને મળેલી માહિતી બાદ તરત જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળીની ટીમ હેલ્પલાઇન વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. 60થી વધુ જીવદયા પ્રેમીઓ અને ભાવનગર તથા જિલ્લાના વિવિધ જીવદયા મંડળોના સભ્યો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા.
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ કાર્યકરો સાથે મદદે આવ્યા હતા. તેમણે જાતે હેલ્પલાઇન વાન ચલાવીને બીમાર ગાયોને પાણીમાંથી બહાર કાઢી હતી. બચાવ કાર્યમાં કુલ 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં 25થી વધુ બીમાર, અશક્ત, વિકલાંગ અને અંધ ગાયો સહિત કુલ 400 ગાયને બચાવીને સલામતસ્થળે ખસેડવામાં આવી હતી.
જીતુભાઈ વાઘાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ભાવનગરમાં પડેલા મુશળધાર વરસાદને પગલે મારા ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની નારી ચોકડી પાસે આવેલી સુરભી ગૌશાળામાં પાણી ભરાઈ જતા ગૌમાતાની રક્ષા હેતુ સ્થાનિક નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૌપ્રેમી સેવકમંડળના સહયોગથી, કોઈપણ જાનહાનિ ન થાય તે માટે ગૌમાતાને ત્વરિતપણે અન્ય સુરક્ષિત ગૌશાળામાં ખસેડવામાં આવી.
આ પણ વાંચો - અમદાવાદમાં ધોધમાર વરસાદ: દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ માટે ‘રેડ એલર્ટ’ જાહેર
નાગરિકોની સલામતી અને ગૌમાતાની રક્ષા – અમારી પ્રથમ ફરજ છે, ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ ન શકે અને નાગરિકોને અનરાધાર વરસાદના કારણે કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે કલેકટરશ્રી, સિંચાઈ વિભાગ તથા અન્ય સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપી છે.