સૌરાષ્ટ્ર

વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોટી રાહત: 190 કાયમી જગ્યાઓની ભરતીને મંજૂરી

રાજકોટ: સતત વિવાદોનું કેન્દ્ર બનીને રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી સ્ટાફની અછત પ્રવર્તતી હતી. જો કે હવે તે સ્ટાફની અછત દૂર થાય તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 190 જેટલી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓની કાયમી ભરતી માટે મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોષીએ કરી છે, જે હાલ આઉટસોર્સિંગ કર્મચારીઓ પર નિર્ભર યુનિવર્સિટીના વહીવટમાં મોટી રાહત આપશે.

મળતી વિગતો અનુસાર યુનિવર્સિટીમાં 372ના મંજૂર મહેકમ સામે હાલ માત્ર 154 જગ્યાઓ પર કાયમી સ્ટાફ છે, જ્યારે 218 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓની ખાલી જગ્યાઓને કારણે વહીવટી કાર્યબોજ વધ્યો હતો. કુલપતિએ જણાવ્યું હતું કે, તેમણે કાયમી કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારબાદ રાજ્ય સરકાર સાથે આ મામલે વાતચીત કરી હતી.

54 નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓને મંજૂરી

ઉલ્લેખનીય છે કે અગાઉ ભરતી ન થઈ શકેલી 54 નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓને પુનઃ જીવિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી, જેને હવે મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત, સાતમા પગાર પંચમાં નિવૃત્ત થયેલા, અવસાન પામેલા અથવા રાજીનામું આપીને છોડી ગયેલા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની કાયમી જગ્યાઓ ભરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, 21 ટીચિંગ અને 6 નોન-ટીચિંગ સ્ટાફ સહિતની 27 નવી જગ્યાઓ માટે પણ મંજૂરી મળી છે. આ રીતે કુલ 190 જેટલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો -‏‏‎ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 200થી વધુ કોરોના કેસ, જાણો આજનો આંકડો

ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

આ અંગે ટૂંક સમયમાં જ આ નવી જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ દ્વારા કાયમી ભરતી કરાશે. 14 જૂન અને 31 ઓક્ટોબરે ખાલી પડનારી જગ્યાઓનો સમાવેશ પણ આ ભરતીમાં કરવામાં આવશે, કારણ કે રાજ્ય સરકારે ડિસેમ્બર-2025 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપી છે. આ નવી કાયમી ભરતીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટી ભાર હળવો થશે અને વહીવટ વધુ સરળતાથી ચાલશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button