લાઠીના હીરાણા ગામે તળાવમાં ડૂબવાથી બે પિતરાઇના મોત: પરિવાર શોકમગ્ન
![4 die in one day in three river drowning incidents in Gujarat](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Gujarat-Drowning.webp)
અમરેલી: અમરેલીના લાઠી તાલુકાના હીરાણા ગામે તળાવમાં ડૂબી જવાથી બે સગા પિતરાઇ ભાઇઓના મોત થયા છે. ઢોર ચરાવવા ગયેલા ત્રણ પિતરાઇ ભાઈઓ તળાવમાં ડૂબ્યાં હતા, જો કે તેમાંથી એક બાળકનો બચાવ થયો હતો જ્યારે અન્ય બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. બે બાળકોના મૃત્યુ થવાથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા ગામે તળાવમાં ડૂબી જવાથી બે પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યાં છે. બે પિતરાઇ ભાઈઓ ઢોર ચરાવવા માટે ગયા હતા આ દરમિયાન તેઓ તળાવમાં ડૂબવા લાગતા ભારે બૂમાબૂમ મચાવી હતી. આથી ગામલોકો એકઠા થઈ ગયા હતા ને બાદમાં બાળકોએ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં વરસાદી માહોલમાં ચાલતી કાર સળગીઃ લોકોમાં ભય ફેલાયો
તળાવમાંથી બહાર કાઢ્યા બાદ બંને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ધાર્મિક રાજુભાઈ ગેલાણી અને તુષાર મિલનભાઈ ગેલાણીનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બાળકનો બચાવ થયો છે. બે બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બે દિવસ પહેલા જ અમદાવાદ શહેરના ચંડોળામાં ત્રણ બાળકો નાહવા ગયા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. ઘટનામાં આસપાસના લોકોએ પાણીમાંથી ત્રણેય બાળકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાંના ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.