સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાચવ્યું ‘ભીમ અગિયારસ’નું મુર્હુત; ધરતીપુત્રોએ કર્યા વાવણીના ‘શ્રીગણેશ’…

અમરેલી: રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી, બોરડી, ખાંભા, તાલડા, ગીગાસણ પંથકમાં વરસાદ નોંધાયો હતો. વળી આજે ભીમ અગિયારસનું પર્વ હોય, આથી સૌરાષ્ટ્રમાં સ્થાનિકો ‘ભીમ અગિયારસ’નો શુકન સાચવતો વરસાદ થયો હોવાનું જણાવી રહ્યા છે, જેનાથી ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. થોડા દિવસ પડેલા કમોસમી વરસાદ બાદ આજના પડેલા વરસાદથી ધરતીપુત્રોએ વાવણીના ‘શ્રીગણેશ’ કર્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલથી 11થી વધુ જિલ્લાઓમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે, શનિવારે (7 જૂન), રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ ઉપરાંત, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, નર્મદા, મહીસાગર, નવસારી, સુરત, ડાંગ, વલસાડ અને તાપી જેવા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
આજે સાંજે 6 વાગ્યાથી ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે પવન અને ગાજવીજ સાથે મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત આપી છે.