અમરેલીમાં ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત

અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચાંચબંદરથી વિક્ટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર રૂ. 93 કરોડના ખર્ચે બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજ્ક્ટનું ખાતમૂહુર્ત રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા.
ચાંચબંદર ગામ 10,000 કરતા વધારે વસ્તી ધરાવે છે. ગામના લોકોએ રાજૂલા પહોંચવા માટે 40 કિલોમીટર જેવું લાંબુ અંતર કાપવું પડે છે, જે રોજ અવરજવર કરતા લોકો માટે મોટી મુશ્કેલી સમાન છે. આ પ્રકારની વ્યવસ્થાની માગણી ઘણા વર્ષથી કરવામાં આવી રહી હતી. રાજકીય પ્રતિનિધિઓએ પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ આ બ્રિજને પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે પરથી લપસી ગયું
જોકે અમુક સ્થાનિકોનું કહેવાનું હતું કે આનંદીબહેનન પટેલ મુખ્ય પ્રધાન હતાં તે સમયથી આ માગણી કરવામાં આવી હતી, જે હવે પૂરી થશે.
બ્રિજ બન્યા બાદ રોજમદારો અને વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોનો સમય બચશે અને તેમને જરૂરી સુવિધા મળશે, તેમ તંત્રએ જણાવ્યું હતું.



