અમરેલીટોપ ન્યૂઝ

સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર

અમરેલીઃ શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાવરકુંડલામાં રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવાર સાંજ સુધી શરૂ રહ્યો હતો. અવિરત વરસાદના પગલે સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદ વરસી જતાં સાર્વત્રિક પાણી પાણી થઈ ગયું હતું. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વરસાદના પગલે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા.

ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, ચેકડેમો પણ છલકાયા હતા. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સાવરકુંડલાના જાબાળ ગામે સૂરજ વડી નદી બે કાંઠે વહેવા લાગી હતી. સૂરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું.

આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠડંક પ્રસરી ગઈ હતી.

ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા.

લીલીયાના ભોરીંગડા ગામે એસ.ટી બસ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન અપાયું હતું. આ ડાયવર્ઝનમાં પાણી ભરાતાં બસ ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!

અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નાના માશીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસટી બસ પર પડ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. દેવરાજીયા-માણીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમરેલીના રાજુલામાં હડમતીયા અને દેવકા ગામની વચ્ચે આવેલી જોલાપુરી નદીમાં પૂરની સ્થિતી જોવા મળી હતી. જેપાણીના ભયંકર પ્રવાહમાં 25 જેટલા ઘેટાઓ તણાઈ ગયા છે. જોકે ઘેટાઈ તણાઈ જવાને કારણે સ્થાનિકો દ્વારા તાત્કાલીક ઘેટાઓને બચાવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નદીમાં ભારે પ્રવાહ હોવાને કારણે 15 જેટલા ઘેટા તણાઈ ગયા હતા, જ્યારે 10 ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા.

આપણ વાંચો: ફોરકાસ્ટ : મિસાઇલના વરસાદથી ઘેરાયેલા મધ્ય પૂર્વના દેશોનું ટેન્શન આખલાને જંપવા નહીં દે

ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા 3-3 ફૂટ ખોલાયા

અમરેલીના રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ ધાતરવડી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ ધાતરવડી ડેમ 2માં 20000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેને પગલે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી હતી. ઉછેયા, રામપરા, હિંડોરણા ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

અમરેલી જિલ્લામાં સવારે સોમવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા પ્રમાણે કુંકાવાવ-વડીયામાં 1.37 ઈંચ, બાબરામાં 0.70 ઈંચ, , લાઠીમાં 1.22 ઈંચ, લીલીયામાં 4.72 ઈંચ, અમરેલીમાં 5.23 ઈંચ, બગસરામાં 1.57 ઈંચ, ધારીમાં 1.45 ઈંચ, સાવરકુંડલામાં 8.26 ઈંચ, ખાંભામાં 3.85 ઈંચ, જાફરાબાદમાં 1.65 ઈંચ, રાજુલામાં 7.20 ઈંચ વરસાદ નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button