
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં સિંહે એક પાંચ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષના બાળક ગુલસિંગ હરિલાલ અજનેરાને સિંહે ફાડી ખાધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર થોરડીની સીમ વિસ્તારમાં રહેતો હતો. સિંહે પરિવાર વચ્ચેથી 5 વર્ષના ગુલસિંગને ખેંચી લીધો અને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો. આ ઘટનાથી પરિવાર શોકમગ્ન બન્યો છે.
આ પણ વાંચો: ગીરગઢડા વાડીના મકાનની અગાશી પર સિંહણે રાત વિતાવી, સવારે શિકારની શોધમાં નીકળી…
વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતાં બાળકની માત્ર ખોપરી મળી આવી હતી. જેને પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં આવ્યો હતો.

મૃતકના પિતા હીરાભાઈ અજમેરાએ જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગે છોકરા રોટલો ખાવા જતા હતા. મારા ઘરના બિયારણ લગાડતા હતા. હું વાડીયે રોટલો ખાવા જતાં પાછળથી સિંહ આવ્યો હતો અને બાળકને ઉપાડીને લઈ ગયો હતો. અમે પાછળ દોડ્યા તો સિંહ અમારી પાછળ દોડ્યો પછી બાળકને મુક્યો નહીં. આ પછી અમે શેઠને ફોન કરીને જાણ કરી હતી.
આ પણ વાંચો: બગસરાના સાપરમાં સિંહોએ 32 દૂધાળાં પશુઓનું કર્યું મારણ! 10 ઘાયલ; સ્થાનિકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સિંહોની થયેલી વસ્તી ગણતરીમાં અમરેલી જિલ્લામાં સાવજની સંખ્યા સૌથી વધારે હોવાનું સામે આવ્યું હતું. સિંહ, સિંહણ, પાઠડા, બાળ સિંહ મળીને જિલ્લામાં 339 સંખ્યા નોંધાઈ હતી.