ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીઓને આજીવન કેદ…

ગાંધીનગર : ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યાના કેસમાં કોર્ટે આપેલા કડક ચુકાદા અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદાનો કડક અને સફળતાપૂર્વક અમલ કરવાથી જ આ ચુકાદો આવ્યો છે. તેમજ આ ચુકાદો ગૌવંશનું કતલ કરતા કસાઈઓ માટે ‘લાલબત્તી સમાન’ છે. ગૌવંશ હત્યા કેસમાં ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં. આ કેસમાં અદાલતે મંગળવારે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આજીવન કેદની સજા અને રૂપિયા 5 લાખનો દંડ
આ ચુકાદા અંગે પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતલ કરીને તેનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ જઘન્ય ગુના બદલ પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ મંગળવારે અમરેલીની નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને ઐતિહાસિક સજા આજીવન કેદ અને રૂપિયા પાંચ લાખના દંડની સજા ફટકારી છે.
વર્ષ 2011માં કાયદો અમલમાં આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં વર્ષ 2011માં સૌપ્રથમવાર ગૌવંશના કતલ સામે આ કડક કાયદો અમલમાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ કડક બનાવવામાં આવ્યો.જેમાં આજીવન કારાવાસની જોગવાઈ ઉમેરાઈ હતી. આ કાયદો ગૌવંશ હત્યા કરનારાઓને સૌથી કડક સજા આપવાની જોગવાઈ સાથે દેશમાં અગ્રેસર છે.
રાજ્ય સરકાર ગૌ-સંવર્ધન માટે કટિબદ્ધ
જયારે આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને રાજ્ય સરકાર સખત હાથે કાયદાકીય પાઠ ભણાવશે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ભવિષ્યમાં ગૌવંશ હત્યાની પ્રવૃત્તિનો વિચાર કરતા તત્વો પણ ધ્રૂજી ઉઠશે. રાજ્ય સરકાર ગૌ-સંવર્ધન અને ગૌ-સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.



