ખેડૂતો માટે ખુશખબર: જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ મળશે…

અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ નિંદામણનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ હતી. ઘણા કેન્દ્રોમાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાઇન લગાવી હતી અને પૂરતા પ્રમાણમાં ખાતર મળ્યું નહોતું.
આ અનુસંધાને અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર વિક્રેતાઓ માટે તા.૧૩.૦૮.૨૦૨૫ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ દરેક ખેડૂતને પ્રતિ દિવસ ૦૫ બેગથી વધુ યુરિયા ખાતર ફાળવવું નહિ તેવી સૂચના હતી. જે બાદ ખેતીવાડી ખાતા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે, રાસાયણિક ખાતર વિક્રેતાઓએ જરૂરી નોંધ લેવાની છે.
હાલના સમયે ખાતરની દુકાનો પર જ્યારે ખેડૂતોની લાઈન લાંબી કે વધારે હોય ત્યારે દરેક ખેડૂતને ખાતરની ફાળવણી થઇ શકે તેના જરુરી આયોજન માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે હિતાવહ છે. પાંચ બેગ ખાતરની મર્યાદા સૂચવવામાં આવી છે જે ફક્ત ઇન્ડિકેટિવ (દિશાદર્શક) છે.
જો કોઈ ખેડૂત દ્વારા વધારે ખાતરની માંગણી કરવામાં આવે અને આવી માંગણી અન્ય ખેડૂતોની માંગણી પૂર્ણ કરી સંતોષી શકાય તેમ હોય તો વધારે ખાતર ફાળવી શકાશે અને એક ટન અથવા તેનાથી વધુ વેચાણના તમામ વ્યવહારો થઇ શકશે. વેચાણના તમામ વ્યવહારોને લગતી આ તમામ વિગતો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમરેલીને રજૂ કરવી પડશે.