અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામના ખેડૂતનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો…

રાજુલા: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં ગુમ થયેલા 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ આજે સવારે ધાતરવડી નદીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ખાખબાઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી વિગતો અનુસાર, જેરામભાઈ હડીયા 19 જૂનના રોજ સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાંથી પોતાના ઘરે પરત ફર્યા ન હતા. તેઓ ધાતરવડી ડેમના દરવાજાથી આશરે 200 મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાંથી ગુમ થયા હતા. દિવસભર તેમની શોધખોળ ચાલી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ મોડી રાતે રાજુલા પોલીસ અને વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં જ તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. અને તલાટી મંત્રી ખાખબાઈ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને ધાતરવડી નદી કાંઠાના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ બાદ જેરામભાઈનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખાખબાઈ ગામ નજીક આવેલો ધાતરવડી ડેમ છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખુલ્લો છે અને નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો હતો.