કેજરીવાલની સભામાં ગયેલા યુવકોને ભાજપના નેતાએ જાતિ વિરુદ્ધ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી!

અમરેલી: તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો અનુસાર, ગત તા. 31/10/2025ના રોજ તે ગામના અન્ય લોકો સાથે લાલાવદરથી સુરેન્દ્રનગર ખાતે એક સભામાં ગયો હતો. રાત્રે લગભગ નવેક વાગ્યે તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે ફરિયાદીના મોબાઈલ પર ગામના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણીનો ફોન આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું છે કે, ચેતનભાઈએ ફોન પર પૂછ્યું કે “તમે ક્યાં ગયા હતા?” અને પછી રમેશભાઈ ધામેલિયાને ફોન આપવા કહ્યું. રમેશભાઈને સ્પિકર પર ફોન આપતા જ ચેતનભાઈએ તેમને ગાળો આપવાનું શરૂ કરી દીધું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત મુજબ, આરોપીએ રમેશભાઈને કહ્યું કે, “તમે ક્યાં પહોંચ્યા છો? હું અહીં લાલાવદર બસ સ્ટેન્ડમાં તમારી રાહ જોઈને જ બેઠો છું, તમારા બધાના ટાંગા ભાગી નાખવાના છે.” આ દરમિયાન ચેતનભાઈએ અનુસૂચિત જાતિ વિશે અપશબ્દોનો બોલીને, ટે લોકોના મકાન લઈ લેવાની નોટિસ પાઠવવાની ધમકી આપી હતી. આ ધમકીઓથી ડરીને રમેશભાઈએ તરત જ ફોન કટ કરી દીધો હતો અને તેઓ કેરિયાનાગસ ગામે ઉતરી ગયા હતા.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડાએ કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા આવેલા લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના અન્ય સાથીઓ પર દાઝ રાખીને ફોન કરીને ગંદી ગાળો ભાંડી છે અને અરવિંદ કેજરીવાલની સભામાં કેમ ગયો? એકબાજુ ભાજપ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે અને ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ત્યારે ભાજપના ગુંડાઓ ખેડૂતોને ધમકી આપે છે. તેમણે કહ્યું હતું કે હું લાલાવદર ગામે આવી રહ્યો છું અને જીગ્નેશભાઈ સાથે મુલાકાત કરીશ.”



