અમરેલીમાં સિંહબાળ ટ્રેનની અડફેટે: વડીયા નજીક દુર્ઘટના, વન વિભાગે સારવાર શરૂ કરી

અમરેલી: ગુજરાતમાં સિંહોના રેલ અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગત રાત્રે અમરેલી જિલ્લાના વડીયા નજીક ટ્રેનની અડફેટે આવી જવાથી વધુ એક સિંહબાળ ઇજાગ્ર્સ્ત થયું હતું. આ ઘટના વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન નંબર ૧૯૨૦૪ સાથે બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેતપુરથી વડીયા તરફ જઈ રહેલી ટ્રેન વડીયા રેલવે સ્ટેશનથી આશરે દોઢ કિલોમીટર પહેલાં પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સિંહબાળ ટ્રેન અડફેટે આવતાં ઇજાગ્ર્સ્ત થયું હતું. આ દુર્ઘટનાને કારણે ટ્રેન ત્યાં જ રોકાઈ ગઈ હતી, જેના પરિણામે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં બેથી અઢી કલાક જેટલી મોડી પડી હતી, અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે ટ્રેક પર સિંહોના રહેણાંક વિસ્તારમાં અવારનવાર થતા આવા અકસ્માતો સિંહ પ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા ઘાયલ સિંહબાળને સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



