અમરેલીમાં કેનાલના ભુંગળામાં ફસાયેલા બે સિંહબાળનું દિલધડક રેસ્ક્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ અમરેલી જિલ્લાની લીલીયા રેન્જમાં આવેલા ગોખરવાળા ગામ નજીક કેનાલના ભૂંગળામાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આપેલી જાણકારી બાદ વન વિભાગ દોડી આવતા સમયસર બન્ને સિંહબાળનું માતા સાથે મિલન કરાવતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
વન વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વક કામગીરી કરીને સિંહબાળને સુરક્ષિત રીતે કેનાલના ભૂંગળામાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ સિંહબાળને કોઈપણ પ્રકારની ઈજા કે જોખમ ન થાય તે માટે તાત્કાલિક પિંજરામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવતા લીલીયા રેન્જના કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમણે સાવધાની વર્તી કેનાલના ભૂંગળામાંથી બન્ને સિંહબાળને બહાર કાઢ્યા હતા. સદનસીબે તેમને કોઈ ઈજા થઈ ન હતી. તેમને પાંજરા પુરવામાં આવ્યા હતા. થોડા સમયમાં માદા સિંહણ રેક્સ્યુ કરાયેલા સ્થળે આવી ગઈ હતી. વન વિભાગે બન્નેનું સુખદ મિલન કરાવ્યું હતું. આ માટે જરૂરી સાવચેતી વર્તવામા આવી હતી અને સાથે આસપાસના માહોલમાં શાંતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.



