સરાહનીય પહેલ: રાજુલાના ધારાસભ્યએ પૂર પીડિત માલધારી પરિવારને પોતાના ખર્ચે 10 નવા ઘેટાં આપ્યા

અમરેલી: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમરેલી જિલ્લામાં જાનમાલને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામમાં ચાર દિવસ પહેલા આવેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા અચાનક પૂરથી એક માલધારી પરિવારને મોટું નુકસાન થયું હતું. નાજાભાઈ સાદુળભાઈ લામકા નદી કિનારે હતા ત્યારે અચાનક આવેલા પૂરમાં તેમના ઘણા ઘેટાં તણાઈ ગયા હતા. જોકે, કેટલાક ઘેટાંને બચાવવામાં સફળતા મળી હતી.
આ કરુણ ઘટના બાદ સ્થાનિક લોકોએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય સોલંકીએ સરકારી સહાયની રાહ જોયા વિના તાત્કાલિક માનવીય અભિગમ અપનાવ્યો હતો અને તેમણે પોતાના ખર્ચે આ માલધારી પરિવાર માટે 10 નવા ઘેટાં ખરીદી આપ્યા હતા. નાજાભાઈ લામકાએ જણાવ્યું હતું કે, ઘેટાં તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન હતા અને તેમના તણાઈ જવાથી આખો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ધારાસભ્યના આ ઝડપી અને ઉમદા પગલાથી તેમને ફરીથી રોજગારી મળશે અને તેમના પરિવારમાં નવો ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે.
આ પણ વાંચો…અમદાવાદઃ મકરબામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરાશે, અમિત શાહે કર્યું વૃક્ષારોપણ