સૌરાષ્ટ્રમાં જળદુર્ઘટના: 3 ઘટનામાં 4 બાળકનાં કરુણ મોત…

અમરેલી-જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટના બની હતી. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નહાવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં હતા, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. ત્રણેય બાળક સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતાં હતાં. ડેમમાં નહાવા પડેલાં બાળકોમાંથી કૃણાલ સોલંકી (ઉ.વ.14) અને મંત્ર મસરાણી (ઉ.વ.10) ડૂબી ગયાં હતાં. જ્યારે મોહિત સોલંકી (ઉ.વ.13)નો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો હતો અને સાવર કુંડલા સિવિલમાં પરિવારના હૈયા ફાટ રુદનના કરૂણ દ્વશ્યો સર્જાયા હતા.
બાળકો ડૂબવાનો બીજો બનાવ બનાવ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બન્યો હતો. જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આ અંગે માછીમારોને જાણ થતાં તેમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. માછીમારો અને તરવૈયાની સમયસૂચકતાને લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના કડીયાણા ગામે વોકળામાં નહાવા પડેલા બે કિશોરના મોત નીપજ્યા હતા. આદિત્ય ભરવાડ (ઉં.વ. 13) અને પ્રિન્સ ભરવાડ (ઉં.વ. 12) નામના બે કિશોર પોતાના દાદાની સાથે ખેતરમાં ગયા હતા ત્યારે ખેતરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં નહાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ બંને બાળકોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
આપણ વાંચો : Gujarat Tourism: દીવના દરિયામાં ન્હાવા જવાનો પ્લાનિંગ કરતા હો, તો પહેલા આ વાંચી લો