સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનો ઘટયા; પ્રથમ રાઉન્ડ બાદ પણ 60 ટકા બેઠકો ખાલી

રાજકોટ: સૌરાષ્ટ્રની ખૂબ જ મોટી નામના ધરાવતી અને એકસમયે તો NAAC તરફથી A+ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) એક સમય હતો કે જ્યારે એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષા લેવી પડતી અને ત્રણથી ચાર વખત મેરીટ લિસ્ટ બહાર પાડવાની નોબત આવતી. પરંતુ આજની પરિસ્થિતિ કઈ અલગ જ છે. આજે મોટાભાગના ભવનોમાં સીટો સાવ ખાલી પડી છે. હાલ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ અંતે માત્ર 40.35 ટકા બેઠકો જ ભરાઈ છે. જો કે તેની સરખામણીમાં ખાનગી યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા તમામ સીટો ભરાઈ જવાથી બધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. 5 અને 6 ની પૂરક પરીક્ષાઓ ન લેવાતા વિદ્યાર્થીઓ પરેશાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60 ટકા બેઠકો ખાલી
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1,18,240 બેઠકો માટે એડમિશન પ્રક્રિયા હાથ ધરી હતી, જેની સામે વિદ્યાર્થીઓએ માત્ર 47,714 બેઠકો માટે જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે પ્રથમ રાઉન્ડના અંતે માત્ર 40.35 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 60 ટકા બેઠકો હજી ખાલી પડી છે. રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ વિદ્યાર્થીઓને સાયન્સ, એજ્યુકેશન,આર્ટસ,કોમર્સ,મેડિકલ, હોમ સાયન્સ, પરફોર્મિંગ આર્ટસ સહિતના વિભાગોમાં એડમિશન આપવામાં આવ્યું છે.
રાજકોટની અન્ય ખાનગી યુનિવર્સિટીઓની સરખામણી કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ ઓછી બેઠકો ભરાઈ છે. તેના માટે ઘણા કારણો જવાબદાર છે. હાલ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે સરકારે GCAS પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. તેના લીધે પણ આ સંખ્યા ઘટી હોવાનું મનાય રહ્યું છે. તે ઉપરાંત પરિણામોમાં થતો વિલંબ, ભારતીના ગોટાળા, પરીક્ષામાં થઈ રહેલા છબરડા જેવી અનેક બનાબતોને લીધે પણ યુનિવર્સિટીની છાપ પર અસર વર્તાઇ છે.
આ પણ વાંચો: હંગામી કર્મચારીઓને ભરોસે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભવિષ્ય શું?
એક સમય હતો કે જ્યારે એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષા લેવી પડતી અને ત્રણથી ચાર વખત મેરીટ લિસ્ટ બહાર પાડવાની નોબત આવતી. પરંતુ આજની પરિસ્થિતિ કઈ અલગ જ છે. હાલનાં સમયે લગભગ બેઠકો ખાલી રહેવાની સંભાવના સેવાઇ રહી છે. મોટાભાગના ભવનોમાં કાયમી પ્રોફેસરો છે નહિ, હાલ વીઝીટીંગ લેક્ચરર અને ભવનમાં સાંસોધન કરનારા વિદ્યાર્થીઓના ભરોસે જ શૈક્ષણિક કાર્ય ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુનિવર્સિટીમાં આવેલા 28 જેટલા ભવનોમાં અધ્યાપકોની 155 જેટલી મહેકમની સામે 87 જ ભરાયેલ છે. આમ 44 ટકા જેટલી બેઠકો તો ખુદ અધ્યાપકોની જ ખાલી પડી છે.