ગુજરાતના આ ગામમાં સરપંચની પસંદગી ચિઠ્ઠી ઉછાળીને થઈ, જાણો વિગત

વિરમગામઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઘણી ગ્રામ પંચાયત સમરસ બની છે. વિરમગામ તાલુકાના કાલિયાણા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. આ ગામમાં સરપંચની પસંદગી ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવી હતી. અલ્પેશ મોરીની સરપંચ તરીકે પસંદગી થઈ હતી.
મળતી વિગત પ્રમાણે, વિરમગામ તાલુકાના કાલિયાણા ગામમાં ચિઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી કરવામાં આવી હતી. કાલીયાણા ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો અને સરપંચ પદના ત્રણ દાવેદાર ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ કનુ મોરી, રાજુ અરજણ મોરી, અલ્પેશ હીરા મોરી સરપંચ પદના દાવેદાર હોવાથી ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેયના નામની ચિઠ્ઠી ઉલાળવામાં આવી હતી. જેમાં સરપંચ તરીકે અલ્પેશ કનુ મોરીનું નામ જાહેર થયું હતું.
સમરસ ગ્રામ પંચાયતને કેટલી મળે છે ગ્રાન્ટ
રાજ્ય સરકારે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમરસના કિસ્સામાં ગ્રામ પંચાયતમાં લોકોની સંખ્યાના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ જે ગ્રામ પંચાયતમાં લોકોની સંખ્યા 5000 હશે અને ત્યાં સમરસ પંચાયત થાય તો રુ 3 લાખ અને 5000થી વધુના કિસ્સામાં 4.50 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો - મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત…
મોદીએ આપ્યો હતો સમરસતાનો મંત્ર
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગામમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને અને ગામનો વિકાસ વેગવંતો બને તે માટે ગ્રામ પંચાયતોને સમરસતાનો મંત્ર આપ્યો હતો.