ગુજરાતમાં Narmada Dam 87 ટકા ભરાયો, પાંચ ગેટ ખોલાયા, અનેક ગામો એલર્ટ કરાયા

અમદાવાદ : ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમના(Narmada Dam)પાંચ ગેટ આજે સવારે ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીના હાલ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે નર્મદા નદી આસપાસના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર ચેતવણી સ્તરે પહોંચ્યા બાદ તંત્ર દ્વારા ડેમના રિવર બેડ પાવર હાઉસ શરૂ કરી નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.75 મીટરે પહોંચી છે.
ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક
નર્મદા ડેમ 87 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદને પગલે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે.
સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના
નર્મદા નદીમાં પાણી છોડવાની સ્થિતિને લઈ ડભોઈ કાંઠા વિસ્તારના લોકોને હાઈએલર્ટ કરાયા છે. વડોદરાના ડભોઈમાં આવેલા યાત્રાધામ ચાણોદમાં નર્મદા નદી બેકાંઠે વહી રહી છે. ચાણોદ ઘાટના પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત ચાંદોદ કરનાળી, ભીમપુરા, નંદેરિયા જેવા ગામોને એલર્ટ કરાયા છે. સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે.