ગુજરાતમાં RTI વધુ સરળ: ઓનલાઈન અરજીથી ફોટોગ્રાફિક માહિતી, ગેરકાયદે બાંધકામની વિગતો પણ સ્વયંપ્રસિદ્ધ થશે!

ગાંધીનગર: ગુજરાતમાં જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદેહિતા લાવવાના ઉમદા આશયથી અમલમાં મુકાયેલા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI Act-2005) ના અસરકારક અમલ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. ગુજરાત માહિતી આયોગે વિધાનસભા સમક્ષ રજૂ કરેલા વર્ષ 2023-24 ના વાર્ષિક વહીવટી અહેવાલમાં કરેલી ભલામણોનો સ્વીકાર કરીને, રાજ્ય સરકારે તા. ૧૩/૦૫/૨૦૨૫ ના પરિપત્ર દ્વારા આ નવી સૂચનાઓ જારી કરી છે.
નવા પરિપત્રમાં કઈ સૂચનાઓનો સમાવેશ?
રેકર્ડનું વર્ગીકરણ અને વેબસાઇટ પર પ્રકાશન: સરકારી રેકર્ડને યોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરવી અને તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું. પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે: અરજદારને પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે પૂરી પાડવી. ઇ-મેઇલ/ઓનલાઇન માહિતી ફોટો પાડીને: ઇ-મેઇલથી અથવા ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તેને તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
સ્વનિરીક્ષણ અને પોર્ટેબલ ડિવાઇસ: અરજદારને રેકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસમાં લઈ જવાની મંજૂરી આપવી, અને ત્યારબાદ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં. આ ઉપરાંત, સર્વે પ્રથમ અપીલ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે નમૂના-ક ની અરજી, જાહેર માહિતી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતો તથા પ્રથમ અપીલની વિગતો ધ્યાને લઈને પ્રથમ અપીલનો વિગતદર્શક હુકમ (Speaking Order) કરવામાં આવે અને તેનું જાહેર માહિતી અધિકારી દ્વારા પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અને નાગરિકોને પારદર્શિતા
માહિતી અધિકાર અધિનિયમ-2005નો લોકોને લઘુત્તમ ઉપયોગ કરવો પડે તે માટે, કલમ 4(1)(ખ) માં જણાવેલ પ્રત્યેક જાહેરસત્તામંડળે સ્વયંપ્રસિદ્ધ કરવાની માહિતી (Proactive Disclosure – PAD), સામાન્ય વહીવટ વિભાગના તા. ૧-૦૫-૨૦૦૯ અને તા. ૧૭-૦૭-૨૦૧૯ ની સૂચનાઓ મુજબ અધ્યતન કરવા સર્વે જાહેર સત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે. PAD દ્વારા નાગરિકોને વિનામૂલ્યે અથવા નિર્ધારિત કિંમતે અથવા છપામણી ખર્ચની કિંમતે માહિતી પૂરી પાડવામાં આવશે. આ માહિતીમાં અરજદારો દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીનો પણ સમાવેશ કરવાનું જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સંદર્ભે કરેલ કાર્યવાહીના રેકર્ડ, આપવામાં આવતી વિવિધ પરમિટ, લાયસન્સ, પરવાનગી, અધિકૃતિઓની મંજૂરીની વિગતો સ્વયં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિક/અરજદાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેમની અરજી પર થતી પ્રગતિથી તેમને વાકેફ રાખવાના હેતુસર, મંજૂરીના પ્રત્યેક તબક્કે નાગરિક/અરજદારને મેસેજ/ઈ-મેઇલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે પણ સર્વે જાહેરસત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.