આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રનો દીકરો બોલિવિયામાં બન્યો ભારતનો રાજદૂત, જાણો ગુજરાત કનેક્શન?

રોહિતકુમાર વઢવાણાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી છે

અમદાવાદઃ રોહિતકુમાર વઢવાણાની પ્લુરિનેશનલ સ્ટેટ ઓફ બોલિવિયામાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે નિમણૂક થઈ હતી. તેઓ કુદરતી સંસાધનો માટે જાણીતા દક્ષિણ અમેરિકાના આ દેશમાં ભારતના પ્રથમ મિશનનું નેતૃત્વ કરશે. એન્ડીઝ પર્વતોમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈ પર આવેલા વિશ્વના સૌથી ઊંચા પાટનગર, લા પાઝમાં, વઢવાના સમક્ષ એક પડકાર છે.

2010ની બેચના છે IFS અધિકારી
2010ની બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી વઢવાણાએ જણાવ્યું હતું કે હવે, હું લા પાઝમાં છું અને મને શરૂઆતથી એક દૂતાવાસ સ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ગુજરાત કનેક્શન ધરાવતા આ રાજદૂતે જણાવ્યું હતું. પહેલા અમે ઓફિસ બનાવીશું પછી સ્ટાફની ભરતી કરીશું. તેમની કારકિર્દી તેમને ઈરાનમાં ભારતીય દૂતાવાસથી લઈને યુકે અને કેન્યામાં ભારતીય હાઈ કમિશન સુધી લઈ ગઈ છે. નૈરોબીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે UNEP અને UN-Habitatમાં ડેપ્યુટી પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે પણ કામ કર્યું હતું.

રોહિતકુમારનું શું ગુજરાત કનેકશન?
રોહિતકુમાર વઢવાણા મૂળ ઓખાના છે. ઓખાથી લા પાઝના સુધીની તેમની યાત્રા વિશે વાત કરતાં તેમણે કહ્યું, 2003માં ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષાઓ વિશે ખબર નહોતી. પોરબંદરમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી અને ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા MA પણ કર્યું હતું. એક શુભેચ્છકની સલાહથી મે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. મેં 2004-05માં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને અન્ય સંસ્થાઓમાં તૈયારીઓ માટે નોંધણી કરાવી હતી.

અમદાવાદમાં પ્રેમમાં પડ્યા પછી લગ્ન
અમદાવાદમાં જ્યારે તેઓ સિવિલ સર્વિસમાં કારકિર્દી માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ફેમિદા શેખ સાથે થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા હતા. વઢવાણાએ તેમના આંતર-ધાર્મિક સંબંધના પડકારોને ઉકેલવા માટે એક વર્ષનો બ્રેક પણ લીધો હતો. આ દંપતી હવે લા પાઝમાં છે. વઢવાણાના પરિવારમાં તેમના માતાપિતા અને બહેનનો સમાવેશ થાય છે, તેઓ હજુ પણ ઓખામાં છે.

બોલિવિયા આ વર્ષે કરશે 200 વર્ષની ઉજવણી
આ ઉપરાંત તેમણે કહ્યું, બોલિવિયા આ વર્ષે તેની સ્વતંત્રતાના 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ નિમિત્તે ભારતે બોલિવિયા સાથેના તેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવા માટે ત્યાં એમ્બેસી શરૂ કરી છે. ગત નાણાકીય વર્ષમાં ભારતે બોલિવિયાને ઓટોમોબાઇલ્સ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરી હતી અને બોલિવિયામાંથી સોનું અને ખાતરોની આયાત કરી હતી. સૂત્રો મુજબ લગભગ 2.3 અબજ ડોલરનો બિઝનેસ થયો હતો. ભારત બોલિવિયા સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા આતુર છે. ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણ, ખનિજો અને ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણો ક્ષેત્રોમાં સહયોગ વધારવા ઉત્સુક છે. 44 વર્ષના રોહિતકુમારે બોલિવિયાના રાજદૂત બનીને ઓખાનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button