આપણું ગુજરાત

ડાકોરમાં ઠાકોર નગરચર્યાએ: પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની ૨૫૩મી ભવ્ય રથયાત્રા નીકળી!

ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરધામ ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ હતી. ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા.

ભગવાન રણછોડરાયજીની 253મી ભવ્ય રથયાત્રા
ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની 253મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે સવારે મંગળા આરતી તેમજ નિત્ય પૂજા અર્ચના બાદ ચાંદીના રથમાં ભગવાનનું અધિવાસન થયું હતું. ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને શણગાર કરી રથમાં બિરાજમાન કરાયા હતા અને મંદિર પરિસરમાં 11 પરિક્રમા પૂરી કરીને રથયાત્રાએ નગરચર્યા માટે 12 કિલોમીટર લાંબા માર્ગ પર પ્રસ્થાન કર્યું હતું. આ પવિત્ર અવસરે ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે ડાકોર ધામ ભક્તિમય બની ગયું હતું.

રથયાત્રાના પરંપરાગત રૂટ પર ડાકોરના ઠાકોરની વાજતે ગાજતે રથયાત્રા શરૂ થયા બાદ ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી થઈને રાધા કુંડ પહોંચી હતી. ત્યાંથી મોખા તલાવડીથી પુન: રથમાં બિરાજી રણછોડપુરા થઈ કેવડેશ્વર પહોંચી હતી. જ્યાં ભગવાને આભૂષણ અને વસ્ત્રો ધારણ કર્યા હતા.

રથયાત્રા લક્ષ્મીજી મંદિર, બોડાણા બેઠક થઈ નિયત રૂટ પૂરો કરી રાત્રે નિજ મંદિરમાં પરત ફરી હતી. રથયાત્રામાં ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો જોડાયા હતા. રથયાત્રામાં ફણગાવેલા મગ, જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રે નિજ મંદિરમાં પરત ફરતા ભગવાનની પારંપરિક ‘ઇન્ડી પિંડી’ વિધિ ભવ્ય રીતે કરી ભગવાનની નજર ઉતારવામાં આવી હતી. જે બાદ ઠાકોરજીનું ગર્ભગૃહમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. જ્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની રથયાત્રા યોજવામાં આવે છે. જે મુજબ પુષ્ય નક્ષત્રમાં ભક્તિ ભાવ સાથે ધામધૂમપૂર્વક 253મી રથયાત્રા નીકળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button