Rajkot: 200 મીટર સુધી બાઇક સવાર ઢસડાયો, નશામાં ધૂત કાર ચાલકે વેપારીનો ભોગ લીધો

રાજકોટ: રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની હારમાળા જોવા મળી છે. આ અકસ્માતમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવારને 200 મીટર સુધી ઢસડીને ચગદી નાંખ્યો હતો.(Rajkot Ramapir chowkdi Car bike accident) રામાપીર ચોકડી ઓવરબ્રિજ પાસે બનેલી આ ઘટનામાં બાઇક સવાર વેપારીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને નશામાં ધૂત કાર ચાલક પણ પોલીસના સકંજામાં છે.
રાજકોટના આ ગોઝારા અકસ્માતમાં વેપારી કિરીટભાઈ પોંદાનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માતનો ભોગ બનનાર મૃતક કિરીટભાઇ લોધાવાડ ચોકમાં ફાસ્ટફૂડની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કારમાં સવાર બંને શખ્સો દારૂના નશામાં હતા. પોલીસે વિવિધ કલમો અને મનુષ્ય સાઅપરાધ વધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કિરીટભાઈ વેપાર કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બાઇક સવારને 200 મીટર સુધી ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે આ અકસ્માત થયો ત્યારે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના લોકો કારમાં સવાર હતા. અનંત ગજ્જર કાર ચલાવી રહ્યો હતો. કારમાં મુસાફરી કરી રહેલા બંને લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જેના માટે હવે આરટીઓ અને એફએસએલ અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. જો તબીબી તપાસ દરમિયાન બંને વ્યક્તિઓ નશામાં હોવાનું જણાશે તો તેમની સામે અલગથી ગુનો નોંધવામાં આવશે.