આપણું ગુજરાત

વરસાદી કહેર: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી, તંત્રને એલર્ટ રહેવાની તાકીદ

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ માટે વ્યવસ્થાતંત્ર સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક યોજી હતી. આજે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ વરિષ્ઠ સચિવ, પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા – સજ્જતાની સમીક્ષા કરી હતી.

જરુર જણાય તો પોલીસનો બંદોબસ્ત ગોઠવવાનો નિર્દેશ
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પુલ, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી આપ્યા હતા.

નાગરિકોની સુરક્ષા-સુવિધા માટે જિલ્લા ક્લેક્ટરને સૂચના આપી

મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક – કમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઊભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી હતી. ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમ જ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમ જ આવા આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પુરતી સુવિધા જળવાય તે માટે જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી.

N.D.R.F. અને S.D.R.Fની ટીમ અસરગ્રસ્ત જિલ્લામાં તહેનાત

મુખ્યમંત્રીએ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે તે સંદર્ભમાં પણ તંત્ર વાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટીના અપ્રોચથી સતર્ક રહે તેવું માર્ગદર્શન આપ્યું હતું. વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામતસ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે N.D.R.F.ની 12 ટીમ 12 જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 20 જિલ્લામાં S.D.R.F.ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.

બંધ રસ્તાઓને શરુ કરવા માટે સરકારે તંત્રને આપી સૂચનાઓ

આમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં N.D.R.F. અને S.D.R.F.ની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂર જણાયે મદદ માટે તૈનાત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો -‏‏‎ કોણ છે રાજુ પટેલ જેને માનવતાની મિસાલ કાયમ કરી

અસરગ્રસ્ત જિલ્લામાંથી 259 લોકોનું કરાયું સ્થળાંતર, 139નું રેસ્ક્યૂ

ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૨૫૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૩૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ બોટાદ અમરેલી જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને તેમને ત્યાં થયેલી બચાવ રાહત અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button