આજે રાજ્યમાં ‘વરાપ’નો માહોલ; આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…

અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી રાજયમાં અનરાધાર વરસી રહેલા વરસાદના જોરમાં આજે ઘટાડો નોંધાયો હતો. 20 જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી. ખેડા, વલસાડ, ભરૂચ, અમરેલી, પંચમહાલ, કચ્છ, સુરત, નર્મદા સહિત રાજ્યના કુલ 17 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે 21 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં આગાહી
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ વલસાડ જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા હતા. જો કે આજે નીકળેલા તડકા અને પાણી ઓસરતા વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે ઉપરાંત વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાના પગલે મનપાના અધિકારીઓ દ્વારા સ્થળ નીરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.