આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનની સાથે રાજકીય ઉથલપાથલના એંધાણ

અમદાવાદઃ હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે હવે રાજકીય આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલે રાજકીય ઉથલપાથલના એંધાણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, રાજકીય ઉથલપાથલ જોવા જઈએ તો ઓગસ્ટ સુધીમાં આંદોલન, હડતાળ વગેરે થઈ શકે છે. સરકાર તો સ્થિર રહેશે પણ કદાચ ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર સુષુપ્ત હોય અને તે ગમે ત્યારે થઈ શકે છે, કેન્દ્ર સરકારમાં પણ ફેરફાર થઈ શકે છે. ગુજરાત સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર મજબૂત અને સક્ષમ છે પણ ગ્રહો મુજબ પ્રધાન મંડળમાં ફેરફાર થવાની શક્યતા છે.
પ્રધાન મંડળ વિસ્તરણની લાંબા સમયથી ચાલી રહી છે ચર્ચા
ગુજરાતનું પ્રધાન મંડળ બદલાશે તેવી લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કેબિનેટ વિસ્તરણમાં જૂના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇકમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ પ્રધાન મંડળમાં કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રધાન મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ પ્રધાનોને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બચુભાઈ ખાબડ સહિત ત્રણ પ્રધાનને પડતા મૂકવામાં આવી શકે છે
પ્રધાન મંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેર વહેંચણી કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજીભાઈ પટેલ, બલવંતસિંગ રાજપુત, કુંવરજીભાઈ બાવળીયા, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડીંડોર અને ભાનુબેન બાબરીયા કેબિનેટ પ્રધાન છે. જ્યારે હર્ષ સંઘવી, જગદીશભાઈ પંચાલ, પરષોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશભાઈ પટેલ, પ્રફુલ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઈ હળપતિ રાજ્ય કક્ષાના પ્રધાન છે. જેમાંથી બચુભાઈ ખાબડ સહિત બે થી ત્રણ પ્રધાનને પડતા મૂકવામાં આવી શકે છે.
આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાના વધુ 170 કેસ, એક્ટિવ કેસ 700 ને પાર…