સુરતમાં તિક્ષ્ણ હથિયારોથી યુવકની ધોળે દિવસે હત્યા કરનારા 3 આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

સુરત: ગુજરાતના સુરતમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર લૂંટ, હત્યા, બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે પોલીસ પણ હવે આવી ઘટનાઓને અંજામ આપનારા ગુનેગારોને પાઠ ભણાવવા માટે તેમની ધરપકડ પછી જ્યાં તેમણે ગુનો કર્યો હોય તે જ વિસ્તારમાં સરઘસ કાઢી રહી છે. આની પાછળ પોલીસનો હેતુ લોકોમાં ગુનેગારોનો ડર ઓછો કરવાનો છે.
આ જ કડીમાં સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની બિલિયા નગર સોસાયટીમાં હત્યાના ગુનામાં પકડાયેલા 3 ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. 20 મેના રોજ 25 વર્ષીય યુવક વિશાલ ઉર્ફે અતુલ વિનોદ યાદવની ચાર લોકોએ ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. વિશાલ પર તિક્ષ્ણ હથિયાર વડે 23 વાર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી એક આરોપી સગીર હતો. હત્યાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓમાંથી પોલીસ ત્રણ આરોપીઓને તે જ બિલિયાનગર વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તેઓએ હત્યા કરી હતી.
પોલીસના હાથે ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી પોલીસે ત્રણ આરોપીઓ મુકેશ ભરવાડ, ગોપાલ ભરવાડ, આનંદ ઉર્ફે કાલપુરે રમાકાંત યાદવનું સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓ પોલીસની હાજરીમાં હાથ જોડીને લોકોની માફી માગતા જોવા મળ્યા હતા.
આવું કરવા પાછળનો પોલીસનો ઈરાદો એ હતો કે જે રીતે ગુનેગારોએ ધોળા દિવસે હત્યા કરી હતી તેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એ ડર ઓછો કરવા ત્રણેય હત્યારાઓને કડક સુરક્ષા હેઠળ ત્યાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં ત્રણેય હત્યારાઓ પોલીસની સામે હાથ જોડીને ચાલતા જોવા મળ્યા હતા.