વડોદરામાં ગણેશ યાત્રા પર પથ્થરમારોઃ 5 લોકોની પોલીસે કરી અટકાયત
વડોદરા શહેર પાસે આવેલા સાવલી જિલ્લાના મંજુસર ગામમાં ગઇ કાલે ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી.
આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી ડીજે બંધ કરાવી યાત્રાનું પ્રસ્થાન આગળ કરાવવા લોકોને કહેતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. તે પછી પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરતા 5 લોકોની અટકાયત કરી છે.
પથ્થરમારાની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા, જેમાં કેટલાક બુકાનીધારી તત્વો મકાનના ધાબા પરથી પથ્થરમારો કરી રહ્યા છે તેવું દેખાય છે. પોલીસે કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ 18 લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરી હતી અને 20થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી કોમ્બીંગ દરમિયાન 5 લોકોનો પતો લાગતા તમામ 5ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ઘટનાને પગલે મંજુસર ગામમાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. જો કે 5 લોકોની અટકાયત બાદ હાલમાં શાતિપૂર્ણ માહોલ છે.