ગોંડલ શહેર પ્રમુખ ઉપર હુમલો કરનારાઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી કરે – મહેશભાઈ રાજપુત
ગેરકાયદેસર એલ.ડી.ઓ. બાબતે આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ તંત્રએ કોઈપણ કાર્યવાહી કે પગલા લીધા નહી. – તંત્રની કાળા કારોબારીઓ સાથેની મિલીભગત છતી થઇ – લલિતભાઈ વસોયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશભાઈ રાજપુતે તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે કે ગઈકાલે તા.૧૨/૦૧/૨૦૨૪ના રોજ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી આશિષભાઈ કુંજડીયા દ્વારા ગેરકાયદેસર એલ.ડી.ઓ.નું નેટવર્ક ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરવા અને કાળો કારોબાર બંધ કરવા પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી.તેમજ રજૂઆત કર્યાના સપ્તાહમાં કાર્યવાહી નહી કરવામાં આવે અને માનવજીવન અને તમામ જીવોને નુકશાનકારક એલ.ડી.ઓ. ઇંધણનો વેપલો બંધ નહી થાય તો તેઓ આ ઇંધણથી આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હોવાના પગલે આ વેપલો કરનારા અને એલ.ડી.ઓ. ઇંધણનો કાળો કારોબાર ચલાવનાર સીન્ડીકેટના માથાભારે તત્વો અને અજાણ્યા શકશો દ્વારા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ તેઓની ગાડી ઉપર ભારે નુકશાન કરવામાં આવેલ છે હાલ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા એ જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે એલ.ડી.ઓ.(લાઈટ ડીઝલ ઓઇલ જે સામાન્ય રીતે બોઇલરમાં અને ફર્નેશ ઓઇલ તરીકે વપરાય છે) ઇંધણના વેપલા કરનારાસો સામે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એક્ટ હેઠળ નાણાકીય લાભ માટે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે એલ.ડી.ઓ. માનવ અને તમામ જીવોને નુકશાન પહોંચાડનાર ઇંધણના ગેરકાયદેસર ગોંડલ વિસ્તારમાં ઠેર-ઠેર સીન્ડીકેટ કરી કારોબાર કરનારાઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. મીડિયા સાથે વાત કરતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે પોલીસ ખાતું ગુનેગારોને છાવરી રહ્યું ઈજાગ્રસ્ત હોસ્પિટલના ખાટલેથી જ્યારે પોતાનું નિવેદન પોલીસ ખાતાને લખાવવા માગતા હોય ત્યારે પોલીસ ખાતું એમ કહે કે અમે જે રીતે કહીએ તે રીતે લખાવો એ કેટલા અંશે વ્યાજબી છે. જો પોલીસ ખાતું તાત્કાલિક પગલાં નહીં લે તો ન છૂટકે હાઇકોર્ટ ના શરણે જવું પડશે.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ પણ આકરા શબ્દોમાં રાજકીય પક્ષ અને પોલીસ તંત્રની જાટકણી કાઢી હતી અને જિંદગી પણ આપી હતી કે આવનારા દિવસોમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો પ્રદેશના નેતાઓ સહિત કાર્યકરોએ પોલીસ તંત્ર સામે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવશે.હાલ આ પ્રકરણમાં ગોંડલના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. આવનારા દિવસોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉગ્ર લડતના એંધાણ આપી રહ્યા છે.