PM Modi ફરી આવશે ગુજરાતઃ માદરે વતન વડનગર અને બેચરાજીની લેશે મુલાકાત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓ સાથે બેઠકની શક્યતા છે. પીએમ મોદી માદરે વતન વડનગર અને બેચરાજીની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટિ મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત, બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઇને તેઓ અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.
વડનગરમાં સરકારના પ્રોજેક્ટની સમીક્ષા કરશે

વડનગર રેલવે સ્ટેશન સામે અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ અને પબ્લિક પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યું છે. પાર્કિંગ – એમ્ફી થિયેટર – પાથ-વે – ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ વડનગર આવનારા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે. પ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે તાજેતરમાં જ મુખ્ય પ્રધાને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.
ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપી પૂરી કરવાનો નિર્ધાર
વડનગરના રેલવે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલવે અને રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડિનેશન અને ઈન્ટિગ્રેશન માટે મુખ્ય પ્રધાને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: ભારત સંશોધન ઇકોસિસ્ટમ પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પગલે પુરાતત્વિય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફે ટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ સમગ્ર પરિસરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, તેનું પણ મુખ્ય પ્રધાને નિરીક્ષણ કર્યું હતું.
સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટનો વિકાસ
સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક અને આસપાસના તળાવો, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ, રેલવે સ્ટેશન, ફોર્ટવોલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ હબની હાથ ધરાઈ રહેલી કામગીરીની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તા જાળવણી માટેના જરૂરી સૂચનો કર્યા હતા.