ગુજરાત ગૌરવ દિને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ભેટ આપી | મુંબઈ સમાચાર

ગુજરાત ગૌરવ દિને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ભેટ આપી

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને રૂ. ૬૪૪.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો. મુખ્યપ્રધાનએ ગુજરાતના વિકાસના ૨૦૦૧ પહેલા અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રૂ. ૬૪૪.૭૨ કરોડના વિવિધ ૮૫ જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને ગોધરામાં રૂ. ૫.૦૫ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. તેમણે ગુજરાત પોલીસ એક્સ્પો – ૨૦૨૫ અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

મુખ્ય પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, પહેલા આખા વર્ષના જિલ્લાના વિકાસ કામોના બજેટ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં લોકોને આપવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, માર્ગો, વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ જણાવતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ૧૦૦ બેડની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે.

આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને આપી શુભેચ્છા

ભારે ટ્રાફિક અને વધુ અવરજવર વાળા ૧૨ માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવા ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંતરામપુર મોરવા હડફ માર્ગને રૂ.૬૭૬ કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર બનવામાં આવશે. જેથી આ વિસ્તારના ત્રણ લાખ નાગરિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ, માનગઢ હિલ અને એસઓયુ જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. કાલોલ બાયપાસને ચારમાર્ગીય કરવા રૂ.૧૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં પ્રધાનપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ થયેલ ૧૭૧ માર્ગોના રિસર્ફેસિંગ માટે રૂ. ૨૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પંચમહાલ જિલ્લાના ૯ ગામોના ૧૩ તળાવોમાં પાનમ ડેમ આધારિત સિંચાઇનું પાણી આપવા રૂ. ૩૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ યોજનાથી ૧૨૫૦ હેક્ટર જમીન ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે, તેમ મુખ્ય પ્રધાનએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને વિકસિત ભારત માટે વડાપ્રધાનના નવ સંકલ્પને દોહરાવી આ નવ સંકલ્પો પૈકી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે એક પેડ મા કે નામ અને કેચ ધી રેઇન અભિયાનમાં જોડાઇ જળ સંચય કરવા અને સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે આ તકે આદિવાસીઓ સહિત સૌના વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત લેખો

Back to top button