આપણું ગુજરાત

આવતીકાલથી અંબાજીમાં આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો થશે શુભારંભ…

ગાંધીનગરઃ આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માનીને તેમની પૂજ કરે છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી ખેલો ઇન્ડિયા ગેમ્સ પહેલે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલ હેઠળ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના સમાપન બાદ 8 થી 10 એપ્રિલ 2025 દરમ્યાન આદ્યશક્તિના આંગણે આયોજિત ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધા’માં 28 રાજ્ય અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશની 550 મહિલાસ્પર્ધક ભાગ લેશે.

DeshGujarat

રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ) અને આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંકલ્પ કી શક્તિ સે સફલતા કે શિખર પર’ના સૂત્રને અનુસરીને સમગ્ર ભારતની મહિલા ખેલાડીઓ તેમની પ્રતિભા રજૂ કરશે.

આ સ્પર્ધામાં આશરે 550 મહિલા ખેલાડીઓ ભાગ લેશે
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ તિરંદાજી સ્પર્ધાના ઉદ્ઘાટન સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આદ્યશક્તિના આંગણે આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ચૈત્ર સુદ અગિયારસથી ચૈત્ર સુદ તેરસ સુધી આયોજિત આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધામાં આશરે 550 મહિલા ખેલાડીઓ ભાગ લેવાની છે. અંબાજીના GMDC ગ્રાઉન્ડ ખાતે 8 એપ્રિલે ક્વૉલિફિકેશન રાઉન્ડ અને શુભારંભ સમારોહ, 9 એપ્રિલે ટોપ 16 માટે નૉકઆઉટ રાઉન્ડ, આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને 10 એપ્રિલે મૅડલ મૅચ અને ઇનામ વિતરણ યોજાશે.

વિજેતા ખેલાડીઓને ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત થશે
નોંધનીય છે કે, રિકર્વ અને કમ્પાઉન્ડ બંને ઇવેન્ટમાં વિજેતા ખેલાડીઓને ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક 100થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થનારી માતાજીની સ્તુતિ અને અર્ચના પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દર વર્ષે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરશે જેનાથી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરને તો પ્રોત્સાહન મળશે, સાથે ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે પણ ઉભરશે. મહત્વની વાત છે કે, અત્યારે રમત ગમતને વધારે પ્રાધાન્ય આપવાની જરૂર છે, જેથી આપણે ઓલિમ્પિક જેવા ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરી શકીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button