શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હલચલ તેજ: પાટીદાર કે OBC, કોના શિરે તાજ?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે પેટાચૂંટણીના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દેતા હવે નવા પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા કવાયત તેજ કરી દેવાઈ છે. દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના સિનિયર નેતાઓ સાથે નામોને લઈ અભિપ્રાય માગવામાં આવી રહ્યા છે. આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ નવા પ્રમુખ તરીકે નામની જાહેરાત કરી દેવામાં આવશે.
નવા પ્રમુખ તરીકે પાંચ નામ પર હાલ મંથન
નવા પ્રમુખ તરીકે પાંચ નામ પર હાલ મંથન થઈ રહ્યું છે. પાટીદાર અને ઓબીસી સમાજના વ્યક્તિને નવા પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે. કોંગ્રેસના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા નેતાઓ પાસે અભિપ્રાય લેવાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જે નામો અંગે ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્વ વિપક્ષ નેતા – પરેશ ધાનાણી – પાટીદાર ( સૌરાષ્ટ્ર), પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય – વીરજી ઠુમ્મર – પાટીદાર (સૌરાષ્ટ્ર), પૂર્વ પ્રમુખ – અમિત ચાવડા – ઓબીસી (મધ્ય ગુજરાત), સાંસદ – ગેનીબહેન ઠાકોર – ઓબીસી (ઉત્તર ગુજરાત), ધારાસભ્ય – જીગ્નેશ મેવાણી – દલિત (ઉત્તર ગુજરાત) નો સમાવેશ થાય છે.
જો પ્રમુખ તરીકે ઓબીસી સમાજને સ્થાન મળશે તો…..
કોંગ્રેસના જાણકાર સૂત્રો માહિતી આપી હતી કે, જો પ્રમુખ તરીકે ઓબીસી સમાજને સ્થાન મળશે તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અન્ય સમાજને સ્થાન મળી શકે છે. જો અમિત ચાવડાને ફરી પ્રદેશ પ્રમુખનો કાર્યભાર મળે છે તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કિરીટ પટેલ, શૈલેષ પરમાર અને અનંત પટેલના નામ પર મહોર લાગી શકે છે. કિરીટ પટેલ પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતમાંથી આવે છે. શૈલેષ પરમાર પાસે હાલ ઉપનેતા તરીકે જવાબદારી છે. તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજથી અનંત પટેલ આવે છે. અનંત પટેલ એક લડાયક નેતા તરીકે ઓળખ ધરાવે છે.
આગામી સપ્તાહ સુધીમાં નવા પ્રમુખની જાહેરાત થશે
બીજી તરફ કોંગ્રેસનું એક જૂથ શક્તિસિંહ ગોહિલને પ્રમુખ યથાવત રહે તે માટે હજુ પણ લોબિંગ કરી રહ્યું છે. તેમજ શક્તિસિંહ ગોહિલ પ્રમુખ તરીકે ફરી કાર્યરત થાય અને રાજીનામું પાછું લઈ લેવા નેતાઓ મનામણા કરી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખના પદ પર મંથન થશે અને સત્તાવાર આગામી સપ્તાહ સુધીમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે. નવા પ્રમુખની જાહેરાત થતાં જ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જાહેર કરાયેલા જિલ્લા અને શહેર પ્રમુખ સાથે સંવાદ કરશે.
આપણ વાંચો : શક્તિસિંહ ગોહિલનું રાજીનામુંઃ પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું