ગુજરાતમાં નવા જંત્રી દર આગામી સપ્તાહે થઈ શકે છે જાહેર…

અમદાવાદઃ ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે, જંત્રીના નવા દર આગામી સપ્તાહે જાહેર થઈ શકે છે. રેવન્યૂ વિભાગે મુખ્ય પ્રધાનને નવા દરની ફાઈલ સોંપી છે અને મંજૂરીના રાહ જોવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાનની મંજૂરી મળતાં જ નવા જંત્રી દર જાહેર કરવામાં આવશે.
2023ની શરૂઆતમાં સરકારે 2011ની તુલનામાં જંત્રી દર બમણા કર્યા હતા અને નવેમ્બર 2024માં નવા દર જાહેર કર્યા હતા. આ સુધારેલા દર ખૂબ જ વધારે હતા. સરકારે ડિસેમ્બર 2024 સુધી જંત્રીને લઈ કોઈ વાંધા સૂચન હોય તો જણાવવા કહ્યું હતું, પછી આ સમય મર્યાદા લંબાવીને 20 જાન્યુઆરી, 2025 કરી હતી. નવા જંત્રી દરના અમલીકરણને લઈ અંતિમ નિર્ણય બાકી છે. સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેક્ટ્સને અસર કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.
ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.
જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુત્તમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જંત્રીનો દર કેવી રીતે નક્કી થાય છે
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.