15 દિવસમાં જ ધોવાયો નવો કોઝવે અને ધારાસભ્યએ કહ્યું અમે ક્યારેય ભ્રષ્ટાચાર ચલાવ્યો જ નથી!

અમરેલી: નબળા કામ કરી આપીને પ્રજાના પૈસાનો બેફામ બગાડ કરવાની કોન્ટ્રાકટરો અને સરકારી અધિકારીઓને પોલ કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે હાલમાં જ બનેલા કોઝવેએ ખોલી નાખી છે. કુંકાવાવ તાલુકાના લુણીધારથી જીથુડી જવાના માર્ગ પર આઠથી દસ દિવસ પહેલા જ બનાવવામાં આવેલ પુલની પુર સંરક્ષણ દીવાલનું પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે. ગ્રામજનોએ કોઝવેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લગાવ્યા છે.
અમરેલીના કુંકાવાવ તાલુકાના લૂણીધાર એન જીથુડી બંને ગામોને જોડતા એકમાત્ર રસ્તા પરના કોઝવેની હાલતથી ગ્રામલોકોને ભાગે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. બંને ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર બની રહેલ કોઝવે પુલનું કામ દોઢ મહિનાથી ગોકળગતિએ ચાલી રહ્યું હોવાના પણ સ્થાનિકોએ આરોપો કર્યા છે. જીથુડી ગામથી લૂણીધાર જવામાં અને સ્થાનિક ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલીઓને લઈ ખેડૂતો અને સ્થાનિકો દ્વારા પુલની માંગ ઉઠી હતી અને બાદમાં તે પુલ મંજૂર થયો હતો. આ રસ્તા પર આ કોઝવેની બંને બાજુ વોંકળું હોવાથી આ એકમાત્ર રસ્તો છે.
સ્થાનિક લોકોએ આરોપ કર્યો છે કે લગભગ છેલ્લા દોઢ મહિનાથી આ કામ ગોકળગતિએ ચાલી રહ્યું હતું અને પહેલા જ વરસાદમાં પુલની સંરક્ષણ દીવાલ ધરાસાઈ થઈ ચૂકી છે. આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પ્રથમ વરસાદમાં થયેલ કામગીરીમાં તંત્રની પોલ ખુલી ગઈ છે તો આ કોઝવે પુલનું કામ કેવું થતું હશે…? સ્થાનિકોએ કહ્યું હતું કે આ કામમાં એક પથ્થર દીવાલમાં મારીએ તો પોડા પડવા લાગે છે ત્યારે આ કામ કેવું થયું હશે
જો કે આ બાદ સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકોને રસ્તાઓની સગવડતા માટે સરકાર મોટો ખર્ચ કરી રહી છે. અમે સ્થાનિક સરકારના પ્રતિનિધિ તરીકે સ્થાનિક ધારાસભ્યો સ્થળ વિઝીટ કરે છે. અમે ક્યારેય ભ્રષ્ટાચારને છાબર્યો નથી. અગાઉ પણ એક નબળા કામ પર બુલડોઝર ફેરવ્યું હતું. ડીડીઓ અને બાંધકામ સમિતિના ચેરમેનને પણ આ મામલે બિલ ન બનાવવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા કહ્યું છે.