આપણું ગુજરાત

આવતીકાલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસઃ ગુજરાતમાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળ્યો

ગાંધીનગરઃ માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર આપીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. જે માટે રાજ્ય સરકારે રૂ. ૩૫૪.૧૫ કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્‍મદિવસ વચ્‍ચેનો એક મહત્વનો સમયગાળો છે જે દરમિયાન શ્રેષ્ઠ સ્‍વાસ્‍થ્‍ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્‍થાપિત થાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ ૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ ૧૦૦૦ દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકાસતા ગર્ભને અને ત્‍યારબાદ સ્‍તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્‍સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે.

આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલ માતાને લાભ મળે છે. જેમાં લાભાર્થીને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સિંગતેલ દર માસે આપવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે.

સમગ્ર દેશમાં શરૂ કરેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી ૬ વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

આપણ વાંચો : “માતૃત્વ યોજના’માં ફાળવ્યું ઓછું બજેટ, રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button