બોરસદના સારોલમાં 13 દિવસમાં ભેદી રીતે 20 જેટલા પશુઓના મોતથી પશુપાલકોમાં ચિંતા

આણંદ: બોરસદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોની માથે એક નવી આફત મંડાઇ છે. બોરસદ તાલુકાના સારોલ ગામમાં છેલ્લા 13 દિવસમાં ભેદી રીતે 20 જેટલા પશુઓના મોત થતા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે કે તંત્ર સામે અનેક રજૂઆતો કરવાઆ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમૂલ દાણ ખાવાના લીધે પશુઓના મોત સર્જાયા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે. બોરસદ તાલુકાના સારોલ જુમા તલાવડી દૂધ મંડળીમાં 22 જૂનના રોજ દાણનો જથ્થો આવ્યો હતો અને જે પશુપાલકો દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જો કે આ પશુદાણ પશુઓ ખાઈ રહ્યા નહોતા આથી લોકોએ લોટ ભેળવીને પશુઓને ખવડાવ્યું હતું. આ બાદ પશુઓને પાતળા ઝાડા થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. બાદમાં પશુઓ દ્વારા ઘાસચારો ખાવાનું પણ બંધ કરીને અંતે દૂધાળા પશુઓ મારવા લાગ્યા હતા.
પશુઓના મારવાનો સિલસિલો લગભગ 13 દિવસથી સતત ચાલુ છે અને અત્યાર સુધીમાં 20 જેટલા પશુઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આ મામલે લોકો તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. પશુ ચિકિત્સાલય વિભાગ અને અમૂલ તબીબી વિભાગ દ્વારા ભેદી બીમારી કે અન્ય કોઈપણ કારણ હોય તો તેને શોધીને પશુઓના મરણ અટકાવવાના પ્રયત્નો કરવાંઆ આવે તેવી સ્થાનિકોની માંગ છે.
સ્થાનિક લોકોએ આ અંગે જણાવતા કહ્યું હતું કે 22 તારીખએ દૂધ મંડળીમાં જે દાણનો ક્વોટા આવ્યો એ દાણ ખવડાવવાથી પશુઓ બીમાર થયા અને મોતને ભેટ્યા છે.હજુ પણ ગામમાં કેટલાક પશુઓ બીમાર છે ત્યારે તેની પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે હાલ અમૂલ અને રાજ્ય પશુ ચિકિત્સાલયની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હાલ પણ અમુક પશુઓ બિમાર છે. પશુપાલકો પર નભતા લોકોની માથે પશુઓન મોતથી આર્થિક ભીંસનું સંકટ ખડું કર્યું છે.