આપણું ગુજરાત

ગુજરાતીઓને સરદાર સરોવરનું ‘સુખ’: ઉનાળો પૂરો થવા આવ્યો પણ હજુ ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો…

અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેને આડે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સમયે 40.18 ટકા જળ સંગ્રહ હતો.

કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ
વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

સૌરાષ્ટ્રના જળાશયોમાં કેટલું પાણી
આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

જ્યારે રાજ્યના 6 જળાશયો 70 થી 100 ટકા, 20 જળાશયો 50થી 70 ટકા તેમજ 71 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button