‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ
મુખ્ય પ્રધાને 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનના ટેબ્લોનું પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ (World Environment Day 2025) નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ (Tree Plantation) કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ (Mission for Million Trees) અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાને સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા ‘સિંદૂર વન’ (Sindoor van)ના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન’ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન’ તૈયાર કરવામાં આવશે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્લો સહિત 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ 38 જેટલા વૃક્ષરથ તૈયાર કરવામાં આવનાર છે.
ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને સાઇકલ આપવામાં આવી
એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્ય પ્રધાને પુરસ્કાર સ્વરૂપે સાઇકલ એનાયત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત 40 લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવશે. જેમાં વૃક્ષરથ નાગરિકોના ઘરે જઈને વિનામૂલ્ય વૃક્ષારોપણ કરી આપશે. આ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા AMC સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે.
આ પણ વાંચો – સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત
આનાથી શહેરના એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડો થશે
આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. AMC દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઑક્સિજન પાર્ક પણ આ જ દિશામાં શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે. વૃક્ષારોપણ અને સિંદૂર વન નિર્માણ પ્રારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન, લોકસભા સાંસદ દિનેશ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.