આપણું ગુજરાત

રેશનિંગના દુકાનધારકો સાથેની બેઠક નિષ્ફળઃ દિવાળી ટાણે લોકો પરેશાન

ગાંધીનગરઃ દિવાળીના તહેવારો સમયે જ પહેલા એસટી બસ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, સદનસીબે તે પાછી ખેંચાઈ ત્યારે રાજયના લગભગ 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનધારકો હડતાળ પર ઉતરી જતા ગરીબ પ્રજા ફરી ભીંસ અનુભવે છે. દિવાળી ટાણે સરકાર તરફથી વધારે રાહતની અપેક્ષા હોય ત્યારે જે મળે છે પણ બંધ થવાની શક્યા ઉભી થઈ છે. દરમિયાન આજે આ મામલે થયેલી બેઠક પણ નિષ્ફળ જતા ક્યારે રાહત મળશે તે કહેવું મુશ્કેલ છે.

આજે વાજબી ભાવની દુકાનના એસોસિએશન સાથે સરકારની બેઠક યોજાઈ હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.

બીજી તરફ કુંવરજી બાવળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે સસ્તા અનાજ દુકાનદારોની વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે.

નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. સરકાર ગરીબોને અનાજ વિના રહેવા દેશે નહીં. તેમણે કમિશન પેટે રૂ.3.53 કરોડની રકમ ચૂકવી હોવાનું પણ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button