શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને જનરલ રજિસ્ટરમાં અટકનો ફરજિયાત ઉલ્લેખ: ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

અમદાવાદ: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ) અંગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (એલસી)માં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્ત્વની માહિતીની નોંધ કરવામાં આવી છે. હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
નામના અંતે અટકનો ઉલ્લેખ કરવા ભલામણ
જેને પગલે હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી જે બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવામાં આવે તેમજ સ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા અપાર આઈડી, આધાર કાર્ડ અને એલસી તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ નવા નિયમથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દસ્તાવેજોમાં નામ સંબંધી ગેરસમજ અથવા ભૂલોથી બચાવવામાં મદદ મળશે. તમામ શાળાઓને આ અંગેની સૂચનાઓ મોકલી આપવામાં આવી છે અને તેમને પોતાની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.