આપણું ગુજરાત

મહાશિવરાત્રી પર સોમનાથમાં બે લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા, આજથી સોમનાથ મહોત્સવ

પ્રભાસ પાટણઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તોનું ઘોડાપૂર ઉમટવાની શક્યતા છે. સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવારે સવારે 6 વાગ્યાથી 48 કલાકમાં બે લાખ જેટલા ભક્તો ઉમટવાની શક્યતા છે. મંદિરમાં દરરોજ 25,000થી 30,000 મુલાકાતીઓ આવતા હોય છે. મહાશિવરાત્રી પર પ્રયાગરાજમાં શાહી સ્નાન પણ થશે, જેને લઈ અહીં ખાસ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, મુલાકાતીઓની સલામતી અને સુવિધા માટે ખાસ પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. ભીડના કાર્યક્ષમ સંચાલન માટે વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અપેક્ષિત ભીડને ધ્યાનમાં રાખીને મંદિર બુધવારે સવારે 6 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ. જાડેજાએ ખાતરી આપી હતી કે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ બંનેએ ભક્તો અને મુલાકાતીઓને સરળતાથી રહેવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે.

Also read: મહાશિવરાત્રી પર ઉમટશે શ્રદ્ધાળુઓનો મહેરામણ; મેળાને લઈ વહીવટી તંત્રની તૈયારી

મહાશિવરાત્રીના શુભ દિવસે ભક્તો માત્ર 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા કરી શકશે. વિશેષ રૂપે, પૂજા કરાવનાર ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. મંદિર દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ બિલ્વપત્ર નમન પ્રસાદ માટે વિશેષ કાઉન્ટર નિકાસ દ્વાર નજીક ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મહાશિવરાત્રી પર ભક્તો 251 રૂપિયામાં પાર્થિવેશ્વર મહાપૂજન કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે સમુદ્ર દર્શન વોક વે પર 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. સોમનાથ મહોત્સવને ધ્યાનમાં રાખીને જાણીતા સૅન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે સોમનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવ મંદિરનું રેતશિલ્પ બનાવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button