ગુજરાતમાં પણ મહારાષ્ટ્રવાળીઃ અજિત પવારના જૂથે નવા પ્રદેશપ્રમુખની કરી જાહેરાત…

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં એનસીપીના બે ભાગલા પડ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવું જ થયું છે. ગુજરાતમાં પણ એનસીપીમાં બે ફાંટા પડ્યા છે. અજિત પવારના જૂથે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી હતી. અજિત પવારના જૂથ તરીકે ગુજરાતમાં નિકુલસિંહ તોમરની પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં હતી.
આ પણ વાંચો : ત્રણ વર્ષ માટે કાલુપુર સ્ટેશન પર જતી-આવતી 47 ટ્રેન થશે ડાયવર્ટ
નિકુલસિંહ તોમરે શું કહ્યું
ગુજરાતમાં અજિત પવાર જૂથના એનસીપીના પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જીત બાદ હવે ગુજરાતમાં એનસીપી આગામી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં એકલા હાથે પોતાના ઉમેદવારો ઊભા રાખશે. નવા સંગઠનની જાહેરાત કરી છે, જેમાં દરેક જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં જે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે અને પ્રજાના જે પ્રશ્નો છે, તેને લઈને લોકોની વચ્ચે જઈશું.
જયંત બોસ્કીનું શું થશે
ગુજરાતમાં અત્યાર સુધી શરદ પવાર જૂથની એનસીપી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કી હતાં. હવે બોસ્કીનું જૂથ શરદ પવારના જૂથ તરીકે ઓળખાશે તેમજ અજિત પવારના જૂથમાં નિકુલસિંહ તોમર ગુજરાતનું સુકાન સંભાળશે. હજુ સુધી જયંત બોસ્કી તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ પહેલાં જ રાજ્યમાં અજિત પવારનું સંગઠન સક્રિય થયું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં POCSO ના ગુનામાં ઝીરો ટોલરન્સની નીતિ, ત્રણ વર્ષમાં 609 આરોપીઓને સજા…
જે આગામી ચૂંટણીઓમાં ઉમેદવારો ઉભા રાખશે. આ જૂથ ગઠબંધન વિના એકલા હાથે જ જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે.